કોલેસ્ટરોલ વધવાની સમસ્યા
કોલેસ્ટરોલ એ શરીરને ઉપયોગી રસાયણ છે જે શરીરના કોષોની દીવાલ અને સ્ટીરોઇડ અંત:સ્ા્રાવ બનાવવા માટે થોડા પ્રમાણમાં શરીરમાં હોવું જરૂરી છે. જયારે કોલેસ્ટરોલનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય ત્યારે માણસને હ્રદયરોગ થાય છે. તંદુરસ્ત નવજાત બાળકમાં દર ૧૦૦ મિલિલિટર (ઉર્ફે એક ડેસીલિટર) લોહીમાં ૬૦ મિલિગ્રામ કોલેસ્ટરોલ હોય છે અને એક વર્ષની ઉંમરે ૧૫૦ મિલિગ્રામ ની આસપાસ. આ પછી આ જ પ્રમાણ છેક ૨૦ વર્ષની ઉંમર સુધી જળવાઇ રહે છે અને ત્યારબાદ ધીમેધીમે વધવા લાગે છે. ભારતીય લોકો માટે કુલ કોલેસ્ટરોલની આદર્શ મર્યાદા ૧૨૫ થી ૧૭૦ મિલિગ્રામ પ્રતિ ડેસીલિટર (મિ.ગ્રા./ડે.લિ.) વચ્ચેની ગણાય છે. (નોંધ - એક ડેસીલિટર એટલે સો મિલિલિટર)
ભારતીય લોકોમાં જો દર ૧૦૦ મિલિલિટર લોહીમાં ૧૭૦ મિલિગ્રામથી વધારે કોલેસ્ટરોલ હોય તો એ માણસને હ્રદયરોગ થવાની શકયતા ઘણી વધી જાય છે. જેમનું કોલેસ્ટરોલ ૧૫૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોય એવી વ્યક્તિને હ્રદયરોગ થવાની શકયતા નહીંવત્ રહે છે. કોલેસ્ટરોલનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લિ.થી જેટલા પ્રમાણમાં વધે છે એટલા પ્રમાણમાં હ્રદયરોગની શકયતા વધ્યા કરે છે. જે લોકોમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ૨૪૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોય એ લોકોમાં હ્રદયરોગ થવાની શકયતા અન્ય (૨૦૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું કોલેસ્ટરોલ ધરાવતા) લોકો કરતાં ત્રણ ગણી વધારે હોય છે. જુદાજુદા સાત દેશોના લોકોમાં કોલેસ્ટરોલના પ્રમાણનો અભ્યાસ કર્યા પછી એવું તારણ નીકળ્યું કે જે દેશના લોકોનું સરેરાશ કોલેસ્ટરોલ વધારે હોય છે ત્યાં હ્રદયરોગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધારે હોય છે.
કોલેસ્ટરોલના પ્રકારો:
કોલેસ્ટરોલ એ ચરબીનાં એવાં ઘટક છે કે જે લોહીમાં દ્રાવ્ય નથી હોતાં. લોહીમાં કોલેસ્ટરોલને દ્રાવ્ય બનાવી એનું વહન કરવા માટે ખાસ પ્રકારનાં પ્રોટીનની જરૂર પડે છે જે લાઇપોપ્રોટીન તરીકે ઓળખાય છે. કોલેસ્ટરોલ જે પ્રકારના લાઇપોપ્રોટીન સાથે જોડાયેલું હોય એને આધારે કોલેસ્ટરોલના ચાર પ્રકાર પડે છે: (૧) એચ.ડી.એલ. (હાઇ ડેન્સીટી લાઇપોપ્રોટીન), (૨) એલ.ડી.એલ. (લો ડેન્સીટી લાઇપોપ્રોટીન), (૩) વી.એલ.ડી.એલ. (વેરી લો ડેન્સીટી લાઇપોપ્રોટીન) અને (૪) આઇ.ડી.એલ.(ઇન્ટરમીડીયેટ ડેન્સીટી લાઇપોપ્રોટીન). આમાંથી મુખ્ય બે એચ.ડી.એલ અને એલ.ડી.એલ. મહતત્વના ગણાય છે. એચ.ડી.એલ. પ્રકારનું કોલેસ્ટરોલ ફાયદાકારક ('સારું) કહેવાય છે જયારે બાકીનાં બધાં કોલેસ્ટરોલ નુકસાનકારક ('ખરાબ) કહેવાય છે. અન્ય કોલેસ્ટરોલથી વિપરિત, એચ.ડી.એલ. કોલેસ્ટરોલ વધારે હોય તો હ્રદયરોગની શકયતા વધવાને બદલે ઘટે છે!
લોહીમાં જુદા જુદા પ્રકારના કોલેસ્ટરોલનું પ્ર્રમાણ:
આપણે જોયુ તેમ, ભારતીય લોકો માટે કુલ કોલેસ્ટરોલની આદર્શ મર્યાદા ૧૨૫ થી ૧૭૦ મિ.ગ્રા./ડે.લિ. વચ્ચેની ગણાય છે. તંદુરસ્ત વ્યક્તિઓમાં એચ.ડી.એલ. કોલેસ્ટરોલનું પ્રમાણ ૩૫ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોવું જોઇએ અને ૪૫ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોય તો ઉત્તમ. કુલ કોલેસ્ટરોલ ત્ાથા એચ.ડી.એલ. કોલેસ્ટરોલનો ગુણોત્તર (એટલે કે કુલ કોલેસ્ટરોલ ભાગ્યા એચ.ડી.એલ. કોલેસ્ટરોલ) ચાર કરતાં ઓછો હોય તો હ્રદયરોગની શકયતા ખૂબ ઓછી રહે છે જયારે આ ગુણોત્તર છ થી વધુ હોય તો આવી શકયતા ખૂબ વધવા લાગે છે. તંદુરસ્ત વ્યક્તિઓમાં એલ.ડી.એલ. કોલેસ્ટરોલનું પ્રમાણ ૧૧૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોવું જ જોઇએ અને ૯૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોય તો ઉત્તમ.
દુર્ભાગ્યે આપણી મોટાભાગની લેબોરેટરી પણ કુલ કોલેસ્ટરોલની 'નોર્મલ રેન્જ તરીકે ૧૫૦ થી ૨૪૦ મિ.ગ્રા./ડે.લિ. જ લખવાની ભૂલ કરે છે, જેનાથી ઘણાં દર્દીઓ ગેરમાર્ગે દોરાય છ અને કોલેસ્ટરોલનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધુ હોવા છતાં ''મારુ કોલેસ્ટરોલ તો નોર્મલ રેન્જમાં જ છે એવો ખોટો સંતોષ માની બેદરકાર રહે છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય આહાર નિષ્ણાતોના ભારતીય અભ્યાસજૂથના સર્વસંમત અભિપ્રાય મુજબ આપણાં દેશમાં ઓછા કોલસ્ટેરોલે વિશેષ પ્રમાણમાં હ્રદયરોગ થતો હોવાથી ભારતીય લોકોમાં કુલ કોલેસ્ટરોલનું પ્રમાણ અન્ય વિકસિત દેશોના લોકો કરતાં ઓછું (આશરે ૧૭૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું) હોવું જરૂરી છે.
ભારતીય લોકોના લોહીમાં કોલેસ્ટરોલનાં ઘટકોનું પ્રમાણ
| લોહીમાં કોલેસ્ટરોલ | આદર્શ પ્રમાણ (મિ.ગ્રા./ડે.લિ.) | બોર્ડરલાઇન (મિ.ગ્રા./ડે.લિ.) | નુકસાનકારક (મિ.ગ્રા./ડે.લિ.) |
| કુલ કોલેસ્ટરોલ | ૧૭૦ થી ઓછું | ૧૭૦ થી ૨૦૦ | ૨૦૦ થી વધુ |
| કુલ ટ્રાયગ્લીસરાઇડ | ૧૫૦ થી ઓછું | ૧૫૦ થી ૨૫૦ | ૨૫૦ થી વધુ |
| એચ.ડી.એલ. કોલેસ્ટરોલ | ૪૫ થી વધુ | ૩૫ થી ૪૫ | ૩૫ થી ઓછું |
| એલ.ડી.એલ. કોલેસ્ટરોલ | ૯૦ થી ઓછું | ૯૦ થી ૧૧૦ | ૧૧૦ થી વધુ |
No comments:
Post a Comment